pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
આજના મહેમાન તથા ગુજરાતી સાહિત્યના અનુભવી લેખક શ્રી રવીન્દ્ર પારેખને ટીમ પ્રતિલિપિ તરફથી જન્મ દિનની હાર્દિક શુભેચ્છાઓ / A short interview with Ravindra Parekh
21 નવેમ્બર 2014

 

 

નામ - અટક :  રવીન્દ્ર પારેખ            

જન્મતારીખ : ૨૧/૧૧/૧૯૪૬

મૂળ વતન : સૂરત

ડિગ્રી-ઉપાધિ : બી.એસ.સી (ફર્સ્ટ ક્લાસ), થર્ડ એલએલ.બી. (સેકન્ડ ક્લાસ), બી.એ. (ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, ગોલ્ડ મેડલિસ્ટ), એમ.એ. (ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. ગોલ્ડ મેડલિસ્ટ). 

નોકરી : યુનિયન બેંક ઓફ ઇંડિયામાં ત્રીસ વર્ષ, વોલન્ટરિ રિટાયરમેન્ટ ૨૦૦૧માં આસિ.મેનેજર પદેથી. ૧૯૬૯ થી ૧૯૭૧ કે.જી.પીઠાવાળા હાઈસ્કૂલ ડુમસમાં બે વર્ષ વિજ્ઞાન શિક્ષક. ‘દિવ્યભાસ્કર’માં ૨૦૦૪ થી ૨૦૦૭ લેન્ગ્વેજ એડવાઈઝર, ‘ગુજરાતમિત્ર’માં સબએડિટર  ૨૦૦૭થી અત્યાર સુધી. તેમાં તંત્રીલેખ ને હ્યુમર લખું છું.   

 

1. સ્વભાવ :

અંતર્મુખ, મક્કમ, સંવેદનશીલ, જે તે કામમાં જીવલેણ મહેનત કરી, કશીય અપ્રમાણિકતા વગર ઈચ્છિત ଑પરિણામ સુધી પહોંચવાનો સ્વભાવ.

 

2. બેકાબૂ કહી શકાય એવો એક શોખ :

વાંચન, લેખન, દર્શનનો. કંઈપણ લખવું, તે બધી મર્યાદાઓ છતાં તેની ઉત્તમતાએ પહોંચવા જ લખવું તે આદર્શ. લેખનમાં ક્યાંય સમાધાન સ્વીકાર્ય નથી, કર્યું નથી, કરીશ નહીં.

 

3. સ્વતંત્રતા ને વ્યક્તિગત જીવનમાં કઈ રીતે જીવો છો ? :

સ્વતંત્રતાને વ્યક્તિગત જીવનમાં ખુમારીથી જીવું છું. જે લાગે તે રોકડું કહું છું, ગિલીટ કર્યા વગર કહું છું, ને સોય ઝાટકીને કહું છું. ઘણા તેથી નારાજ પણ છે, પણ સાચું ન કહું તો જાત જોડે દ્રોહ કરતો હોઉં તેવું લાગે છે એટલે જરા પણ પરવા કર્યા વગર સ્પષ્ટ મત આપું છું. સ્વમાનથી ઓછું કદી કંઈ ખપ્યું નથી ને ખપશે પણ નહીં.

 

4. સર્જનમાં કોઈ પ્રેરણામૂર્તિ હતાં? છે?

મારા પિતા. તેમને મારા સાહિત્યલેખન સામે સખત વાંધો હતો. મારી કેટલીય વાર્તાઓ તેમણે ફાડી નાખેલી ને જવાબમાં મેં તેથી વધુ વાર્તાઓ લખવાનું સ્વીકાર્યું. તેમનો વિરોધ ન હોત તો કદાચ આટલી તીવ્રતાથી લેખનમાં પ્રવૃત્ત ન થયો હોત. વિવેચનનો લાભ પિતાએ જ આપેલો. પત્ની સિવાય પણ પ્રેરણામૂર્તિઓ ખરી.

 

5. પ્રિય ભોજન :

ગુજરાતી થાળી. મિઠાઈઓ. ચોકલેટ. બિસ્કિટ. હું માનું છું કે જે ગળપણની નજીક છે, તે ઘડપણની નજીક નથી. બામણીયા દાળ, લાપસી અને મેથીનાં ભજિયાં ખૂબ ભાવે. રતાળુની પુરી સીઝનમાં ન ખાઉં તો પેટ ખાલી લાગે. મદ્રાસી, પંજાબી ભાવે, પણ પ્રથમ ક્રમે ગુજરાતી થાળી. વિદેશી ફુડ બહુ ચાખ્યું જ નથી એટલે તે ન ભાવે તેવું તો કેમ કહું ?

 

6. લેખન માટે કોઈ ખાસ સ્થળવિશેષ :

એવું ખાસ નહીં. પણ બધું જ ઘરમાં પથારીમાં બેસીને લખ્યું છે. સામે ખોળામાં બે ઓશીકાં હોય ને તેના પર પાટિયું મૂકીને લખું. મોટે ભાગે રાતના લખું. આખી રાત લખવામાં ગઈ હોય તેવી ઘણી રાતો છે. ચા પીવાનું ગમે, લખતી વખતે આમ પણ ચા વધુ જોઇએ. લખવામાં જ એવી સવાર પડી ગઈ ગઈ હોય કે ના’યા ધોયા વગર જ કપડાં ચડાવીને નોકરીએ સીધો પહોંચ્યો હોઉં તેવું ઘણી વાર બન્યું છે.

 

7. કેટલા સાહિત્યપ્રકારો, લેખનપ્રકારો અજમાવ્યા :

કવિતા, ગઝલ, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, હાસ્ય, વિવેચન, આસ્વાદ, અનુવાદ, રૂપાંતર નાટ્ય/ફિલ્મ/સંગીત સમીક્ષા.... લગભગ તમામ સાહિત્યપ્રકારો મેં અજમાવ્યા છે ને સફળતાપૂર્વક ખેડ્યા છે.

 

8. છપાયેલા સાહિત્યની સૂચિ :

૧. એ તો રવીન્દ્ર છે (ગઝલ સંગ્રહ) - કલાગુર્જરી પ્રથમ પારિતોષિક

૨. હરિસંવાદ (હરિગીત સંગ્રહ) – ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક

૩. સરળ

 

નવલકથા

૧. જળદુર્ગ

૨. અતિક્રમ

૩. ક્રોસ-વાયર

૪. લટહુકમ

૫. મનપ્રવેશ – નંદશંકરચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક   

 

નવલિકાસંગ્રહ

૧. સ્વપ્નવટો – ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, ઉમાશંકર જોશી  પારિતોષિક તથા ‘સન્માન’નો ક્રિટિક્સ એવોર્ડ

૨. સંધિકાળ

૩. પર્યાય – સરોજ પાઠક પારિતોષિક

૪. નિર્દેશ

૫. જરાક

 

એકાંકી સંગ્રહ

૧. ઘર વગરનાં દ્વાર – ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, કલાગુર્જરી મુંબઈનું પ્રથમ પારિતોષિક અને નર્મદચંદ્રક એવોર્ડ

૨. હું તમારો હું છું – ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક

 

અનુવાદ

૧. ઉઠાવગીર ( લક્ષ્મણ ગાયકવાડની દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક વિજેતા મરાઠી આત્મકથા ‘ઉચલ્યા’નો અનુવાદ)

૨. દેશવિદેશ (અનુદીત વાર્તાઓનો સંગ્રહ)

 

સંપાદન

૧. ગુજરાતી નવલિકાચયન – ૧૯૯૭નું ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત શ્રેષ્ઠ નવલિકાઓનું સંપાદન

૨. શબ્દનું સાત ભવનું લેણું છે.

 ૩. ગઝલની પાલખી

૪. હોય ના વ્યક્તિ ને તેનું નામ બોલાયા કરે.

૫. તત્ત્વ

 

રૂપાંતર

૧. તિરાડે ફૂટી કૂંપળ – મહેશ એલકુંચવારના મરાઠી ત્રિઅંકી નાટક ‘વાડા ચિરેબંદી’નું ગુજરાતી રૂપાંતર  

 

હાસ્યલેખ સંગ્રહ

૧. હાસ્યપરિષદમાં જતાં જતાં – ગુજરાતી સાહિત્ય અકાદમીનું ત્રીજું પારિતોષિક.

૨. પહેલું સુખ તે જાતે મર્યા – જ્યોતીન્દ્ર દવે એવોર્ડ

૩. મોંઘવારીમાનું વ્રત

 

વિવેચનસંગ્રહ

૧. અન્યોક્તિ

૨. નિષ્પતિ

૩. સંમિતિ

      

સાહિત્ય સેવા માટે ધનજી કાનજી સુવર્ણચંદ્રક

 

9. સ્વ ગર્વની બાબત :

હું આજ સુધી ઝૂક્યા વગર, ખુમારીથી, મારી રીતે, સચ્ચાઈ અને સ્વમાનથી જીવ્યો છું ને એમ જ જીવાય તેમ સતત ઇચ્છું છું. મારી રીતે સમાધાન વગર જીવ્યો તેનું ગૌરવ છે.

 

10. પ્રતિલિપિ એ .. :

પ્રતિલિપિએ પોતાની લિપિ બનવાનું છે.

 

વાચકોને સંદેશ :

ખોટું ન જીવો.

 

Published works on Pratilipi :